UPમાં 31 મે સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, ઔદ્યોગિક ગતિવિધિઓને મળશે છૂટ

ઉત્તર પ્રદેશમાં કોરોના લોકડાઉન 31મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કહેવા પ્રમાણે સાવચેતીના પગલારૂપે પ્રતિબંધોને વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યા છે. કાનપુર ખાતે યોજાયેલી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જાહેરાત પ્રમાણે રાજ્યમાં 31મી મેની સવારના 7:00 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ રહેશે. જો કે, ઔદ્યોગિક ગતિવિધિઓને પહેલાની જેમ જ ચાલુ રાખવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં કોરોના કર્ફ્યુ દરમિયાન જરૂરિયાતની સેવાઓને છોડીને બાકીની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે. જરૂરી સેવાઓમાં પણ વેક્સિન લગાવનારા, મેડિકલ ઈમરજન્સીમાં થયેલી અવર-જવર અને ઔદ્યોગિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. પરંતુ સામાન્ય લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.

લોકોને કારણ વગર ઘરની બહાર નીકળવાની મંજૂરી નહીં મળે. યુપીમાં ફરી એક વખત લોકડાઉન લંબાવવામાં આવ્યું છે પરંતુ રાજ્યમાં કોરોના હવે કાબૂમાં આવી રહેલો જણાઈ રહ્યો છે. દેશના સૌથી મોટા રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને મૃતકઆંક પણ પહેલા કરતા ઘટ્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યમાં કોરોનાની બીજી લહેર 30 મે સુધી રહેશે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે તમામ અધિકારીઓને રાજ્યમાં મોટા કાર્યક્રમોનું આયોજન ન કરવા અને વધુ ભીડ એકઠી થતા રોકવા કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *