બિહાર (Bihar) માં ચક્રવાત યાસ (Cyclone Yaas) ના કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓછા દબાણવાળા વિસ્તારથી શુક્રવારે રાજ્યના મોટાભાગમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો હતો. રાજધાની પટના (Patna), દરભંગા, બાંક, મુંગેર, બેગૂસરાય, ગયા અને ભોજપુરમાં વાવાઝોડાથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું. રાજધાની પટનાના વૈશાલીને જોડનાર ભદ્ર ઘાટ પર પીપા પુલનો એપ્રોચ રોડ ધસી પડ્યો. તો બીજી તરફ વૈશાલીના રાઘોપુરમાં ભારે વરસાદના લીધે રૂસ્તમપુર પીપાપુલ ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા.
આજે પણ વરસાદનું અનુમાન
હવામાન વિભાગે શનિવારે પણ ઉત્તર બિહારના મોટાભાગના ભાગમાં સામાન્ય થી હળવા ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ સીએમ નીતીશ કુમાર (Nitish Kumar) એ લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમએ મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સાથે જ એ પણ આદેશ આપ્યા છે કે બેગૂસરાયમાં ચક્રવાતથી ઘાટલ ચાર વ્યક્તિઓને ગયા (Gaya) અને બાંકામાં એક-એક ઘાયલને યોગ્ય મેડિકલ મદદ પુરી પાડવામાં આવશે.
નીતિશ કુમારે બિહારના લોકોને હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતાવણી અનુસાર તમામ સાવધાનીઓ વર્તવાની અપીલ કરી અને આશ્વાસન આપ્યું કે વિજળી અને પાણીની વગર વિઘ્ને આપૂર્તિ તથા વાહનોની અવરજવરના સંચાલન માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.
સામાન્ય થઇ રહી છે સ્થિતિ
અહીં હવામાન વિભાગના અધિકારી એસ કે મંડળના અનુસાર કટિહાર અને સારણ જેવા ઉત્તર બિહાર જિલ્લામાં 200 મિમીની આસપાસ અથવા તેનાથી વધુ વરસાદ ખાબક્યો પટન જિલ્લામાં ભારે પવનની સાથે અહીં ગઇકાલથી 90 મીમીથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે રાજધાનીના મુખ્ય વિસ્તારો સહિત ઘણા ભાગોમાં ભારે પાણી ભરાઇ ગયા છે. ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. તો બીજી તરફ હવાઇ સેવા ફરીથી શરૂ થઇ ગઇ છે.