યોગી દિવાઈન સોસાયટી ના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણાધાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વી ની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઈ 2021ના રોજ રાત્રે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે.
અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહદભાવ અને અપ્રતિમ સાધુતાનુ મૂર્તિમાન સ્વરૂપ એવા પૂજય સ્વામિજીએ તેમની આ પૃથ્વી પર ની પ્રભુપ્રેરિત યાત્રા દરમ્યાન પ્રભુભક્તિ અને ગુરુભકિતના અનોખા સમન્વયનુ દર્શન કરાવ્યુ.
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુ:ખી છું. સ્વામીજી આપણા સૌના હૃદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એ જ તેમની પાસે પ્રાર્થના.
ઉપરાંત મુખ્ય મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી એ એમના પરમ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર મુખ્ય મંત્રી કદાચ તેમના પાર્થિવ દેહ ને શ્રધ્ધા અંજલી આપવા ઉપસ્થિત રહેશે.