ગુજરાત ના મહીસાગર જિલ્લાના ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાની ઘટના બહાર આવી છે. મહિસાગર જિલ્લા ભાજપના કારોભારી સભ્ય એવા ત્રીભોવનભાઈ પંચાલ અને તેમની પત્નીની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.
ત્રીભોવનભાઈ પંચાલ મહિસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય હોવાની સાથો-સાથ પંચાલ સમાજના આગેવાન હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાલ્લા ગામમાં જિલ્લા ભાજપના કારોભારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમની પત્નીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ મહીસાગર જિલ્લાના એસપી, લુણાવાડા પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવને પગલે સ્થાનિક ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે રાજકીય આગેવાન અને તેમના પત્નીની હત્યાની ઘટનાને પગલે હાલ મહીસાગર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ગુજરાત ભાજપના આગેવાનો પણ આ સમગ્ર ઘટનાથી વ્યથિત થયા છે. અને આ કૃત્ય કરનારા આરોપીઓને જેલના સળિયા પાછળ ભેગા કરવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીએ તિક્ષ્ણ હથિયારની મદદથી આ દંપતી પર હુમલો કર્યો હતો. દંપત્તીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યું છે. એટલું જ નહીં આરોપીઓને પકડી પાડવા માટે ડોગ સ્કોડ અને FSL ની પણ મદદ લેવામાં આવી છે. હાલ આ ઘટનાને પગલે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટૂકડીઓ બનાવીને તપાસની કામગીરી ચાલુ કરી દીધી છે