પશુપાલનના વ્યવસાય થકી રાજકોટ જિલ્લાના પશુપાલકોએ દૂધની નદીઓ વહેવડાવીને શ્ચેતક્રાંતિ સર્જી છે ત્યારે શ્ચેતક્રાંતિની આડમાં કેમિકલની મદદથી પાણીમાંથી દૂધ બનાવવાનો કાળો કારોબાર રાજકોટમાં ચાલતો હોવાની ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થતા તંત્ર પણ ચોંકી ઊઠયું હતું. એક અઠવાડિયા પૂર્વે પોલીસ દ્રારા 1 હજાર લીટર શંકાસ્પદ દુધનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, તો 5 દિવસ પૂર્વે મનપાએ મેગા ડ્રાઇવનું આયોજન કરી 228 લીટર જેટલો ભેળસેળ યુક્ત જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે પાંચ સેમ્પલને વધુ તપાસ અર્થે લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આવા સમયે દૂધમાં ભેળસેળ કઈ રીતે થાય છે એ ઓળખવું આપણા બધા માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. ત્યારે આજે અમે આપને જણાવીએ છીએ કે કઇ રીતે આપ ઘરે બેઠા દુધની ચકાસણી કરી શકશો.
સામાન્ય રીતે દુધ ઉત્પાદકો વધારે નફો કમાવવા માટે દુધમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે આપના દુધમાં પાણી ચકાસણી કરવા માટે આટલું કરવું જોઇએ..જો દુધમાં પાણી હશે તો દુધનું ટીંપુ જમીનની લાદી પર નાખવાથી જો દુધ ચોખ્ખું હશે તો દુધ સફેદ લીસોટો છોડી જશે એટલે કે દુધનું ટીપું ગોળ જ રહેશે રેલાશે નહિ જો દુધ ભેળસેળયુક્ત હશે તો લીસોટો નહિ થાય પરંતુ સીધુ જ જમીન પર પડી જશે અને રેલાઇ જશે.
કેટલીક વખત દૂધને ઘટ્ટ બનાવવા માટે તેમાં પાવડરનો ઉપયોગ થતો હોય છે તો ક્યારેક હલકી ગુણવત્તાના પાવડરથી પણ દુધ તૈયાર થતું હોય છે ત્યારે તેની ચકાસણી માટે એક ગ્લાસમાં 5 થી 10 એમએલ દુધ અને પાણી સરખું લેવું.બંન્ને એકરસ થઇ જાય તે રીતે ભેળવવું. જો દુધમાં પાવડર ઉમેરવામાં આવ્યો હશે તો ધાટા અને વધુ ફીણ થશે અને જો દુધ શુધ્ધ હશે તો આછા-પાતળા ફીણ જોવા મળશે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે દુધનો ભાવ તેના ફેટના આધારે નક્કી થતો હોય છે જેથી કેટલાક લેભાગુ તત્વો દ્રારા દુધમાં ફેટ વધારવા માટે પહેલા દુધને ગરમ કરીને તેમાંથી ફેટ કાઢી લે છે.સામાન્ય રીતે પશુઓનું દુધ 5 થી 6 ફેટનું હોય છે જેથી ઉત્પાદક દુધ ગરમ કરીને તેમાંથી મલાઇ કાઢી લે છે અને ત્યારબાદ ફેટ વધારવા માટે તેમાં વેજીટેબલ ઓઇલ અથવા તો સોયાબીન તેલનો ઉપયોગ કરે છે અને ફેટ વધારે છે જેથી આવા દુધમાંથી મલાઇ નીકળી શકતી નથી.