જેમ જેમ ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે તેમતેમ સાયબર ફ્રોડ(Cyber Fraud)ના કિસ્સાઓ પણ ઝડપી દરે સામે આવી રહ્યા છે. સાયબર ફ્રોડની પદ્ધતિ અને પ્રમાણ બંનેમાં ઘણો વધારો થયો છે. આવી સ્થિતિમાં જોખમ ઘટાડવા માટે વીમા નિયમનકાર IRDAI એ વીમા કંપનીઓને વ્યક્તિગત સાયબર વીમા(individual cyber insurance)નો વ્યાપ વધારવાનું કહ્યું છે. ઇરડાએ કંપનીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓએ તેમના ઉત્પાદનમાં શું સમાવવાનું છે.
IRDAI દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્ર અનુસાર ફંડ ચોરી, ઓળખ ચોરી, અનધિકૃત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ઇમેઇલ સ્પૂફિંગ જેવી ઘટનાઓને વ્યક્તિગત સાયબર વીમામાં આવરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. નેશનલ સાયબર સિક્યુરિટી એજન્સી CERT-In (કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા) અનુસાર કોરોનાના સમયગાળા દરમિયાન વ્યક્તિગત નેટવર્ક પર વધુ સાયબર હુમલા થઇ રહ્યા છે. લોકો ઘરે કામ કરી રહ્યા છે તેથી સાયબર ફ્રોડ પર્સનલ કમ્પ્યુટર્સ અને નેટવર્કને નિશાન બનાવી રહી છે.
એક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં બજાજ એલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સના ચીફ ટેક્નિકલ ઓફિસર ટી.એ.રામલિંગમે જણાવ્યું હતું કે સાઇબર વીમો હવે વ્યક્તિઓ માટે જરૂરી બની ગયો છે. IRDAI ના પરિપત્ર અનુસાર વ્યક્તિગત સાયબર વીમા માટે અમુક નિયમો હશે, જેમ કે ભંડોળની ચોરી, ઓળખની ચોરી, સોશિયલ મીડિયા ડેટાની ચોરી, સાયબર સ્ટોકીંગ અથવા બુલિંગ, માલવેર કવર, ફિશિંગ કવર, અન-અધિકૃત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ઇમેઇલ સ્પૂફિંગ, મીડિયા લાયેબીલીટી ક્લેમ, સાયબર એક્સટોર્શન, ડેટા બ્રીચીંગ અને ગોપનીયતા ભંગને આવરી લેવા માટે જરૂરી રહેશે.
IRDAI ના પરિપત્રમાં સાયબર વીમા પ્રત્યે વ્યક્તિઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે કંપની ક્યારે દાવાને નકારી શકે છે. નાણાકીય નુકસાનના કિસ્સામાં શું નિયમ રહેશે. આ સિવાય, સાયબર છેતરપિંડી દ્વારા થયેલા નુકસાનને ચાર અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. દરેક કેટેગરી માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.