હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 71 તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 136 મિમી વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.
બપોરે બે વાગ્યા સુધીમાં આ તાલુકામાં વરસાદ ખાબક્યો
તાલુકો | વરસાદ (મિ.મી) |
વિસાવદર | 347 |
લોધિકા | 345 |
રાજકોટ | 286 |
કાલાવડ | 258 |
ધોરાજી | 192 |
કોટડાસાંગાણી | 151 |
ગોંડલ | 127 |
પડધરી | 116 |
જૂનાગઢ | 111 |
કપરાડા | 108 |
NDRF-SDRFની ટીમોને એલર્ટ રહેવા સૂચના
બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.