બ્રિટને 11 ઓક્ટોબરથી ફૂલી વેક્સીનેટેડ ભારતીયો (Fully Vaccinated Indians) માટે ક્વોરેન્ટાઇનના (Quarantine) નિયમો હટાવી દીધા છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે આ માહિતી આપી છે. બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસે ગુરુવારે જાહેરાત કરી હતી કે યુકેએ ભારતીય પ્રવાસીઓને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે જેમને કોવિશિલ્ડ અથવા અન્ય કોઇ બ્રિટિશ સરકાર દ્વારા માન્ય રસી દ્વારા ફૂલી વેક્સીનેટેડ છે. આવા ભારતીય પ્રવાસીઓને 11 ઓક્ટોબરથી યુકેમાં પ્રવેશ્યા બાદ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવશે.
એલેક્સ એલિસે કહ્યું, ‘ભારત સરકાર દ્વારા ગત મહિનાથી કરવામાં આવેલા સહકાર બદલ આભાર. આનું કારણ એ છે કે બ્રિટનને ભારતના કોવિડ-19 રસી પ્રમાણપત્ર સામે થોડો વાંધો હતો. બ્રિટિશ સરકારે સૌપ્રથમ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) કોવિડશિલ્ડ રસીને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ભારતના કડક વલણ પછી તેણે 22 સપ્ટેમ્બરના રોજ તેની માર્ગદર્શિકા બદલી અને રસીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જો કે, કોવિશિલ્ડનો સમાવેશ કર્યા પછી પણ બ્રિટિશ સરકારે આ રસીના બંને ડોઝ લેતા ભારતીયોને ક્વોરેન્ટાઇન નિયમોમાંથી રાહત આપી નથી. બ્રિટિશ અધિકારીઓએ કહ્યું કે તેમને રસી સામે નહીં પરંતુ રસીકરણ પ્રમાણપત્ર સામે વાંધો છે. આ પછી, ભારતે પણ બદલો લીધો અને બ્રિટિશ નાગરિકો માટે નવા નિયમો જાહેર કર્યા. નવા નિયમો અનુસાર હવે બ્રિટનથી આવતા નાગરિકોએ ભારત પહોંચ્યા બાદ 10 દિવસના આઇસોલેશનમાં રહેવું પડશે.
ભારતના નવા નિયમો અનુસાર યુકેના નાગરિકોએ મુસાફરીના 72 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે, પછી વેક્સિનેશન કરાવ્યું હોય કે નહીં.
આ પહેલા ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે, ‘બ્રિટિશ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમે આશા રાખીએ છીએ કે કોઈ ઉકેલ મળશે.’ તેમણે એમ પણ કહ્યું કે વેક્સિનનું વેલીડ સર્ટિફિકેટ રાખનારા ભારતીયો પર બ્રિટનની પાબંધીઓ સ્પષ્ટ રૂપ ભેદભાવપૂર્ણ છે.
તેમણે કહ્યું, ‘આ અંગે કોઈ બે મત નથી. અમે આ મુદ્દો બ્રિટિશ સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત ઉઠાવ્યો છે, પરંતુ કોઈ સફળતા મળ્યા વિના. આ જ કારણ છે કે 4 ઓક્ટોબરથી અમે બ્રિટનથી ભારત પહોંચતા તમામ બ્રિટીશ નાગરિકો સામે બદલો લેવાના પગલાં લીધા છે.