વર્લ્ડ બેન્કનું (World Bank) કહેવું છે કે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના કારણે, 2021-22માં ભારતીય અર્થતંત્ર 8.3 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી ધારણા છે, જો કે, 2021 ની શરૂઆતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કરાયેલા અંદાજ કરતાં આ વૃદ્ધિદર ઓછો છે.
વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી (દક્ષિણ એશિયા) હંસ ટિમરે (World Bank Chief Economist (South Asia) Hans Timmer)જણાવ્યું હતું કે ગયા વર્ષે અર્થતંત્રમાં તીવ્ર ઘટાડાને જોતા આ બહુ લાગતી નથી, પરંતુ મને લાગે છે કે જીવલેણ બીજી લહેર અને તેની ગંભીરતાને જોતા તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોગ્યલક્ષી કટોકટી હોવા છતા સકારાત્મક સમાચાર છે. અમે હજુ પણ ભારતીય અર્થતંત્ર માટે સંભવિત પરિણામો વિશે હકારાત્મક છીએ.
વર્તમાન વર્ષમાં આપણે જેટલી પ્રગતિ કરી રહ્યા છીએ તેટલી અનિશ્ચિતતા ઓછી થશે. 31 માર્ચના રોજ વર્લ્ડ બેંકે એક રિપોર્ટમાં કહ્યું હતું કે 2021-22 દરમિયાન ભારતનો જીડીપીનો વાસ્તવિક વિકાસ દર 7.5 થી 12.5 ટકાની વચ્ચે હોઇ શકે છે.
આરબીઆઈએ (RBI) શુક્રવારે 2021-22 માટે 9.5 ટકાના આર્થિક વિકાસનો અંદાજ જાળવી રાખ્યો છે. જો કે, વિશ્વભરમાં સેમિકન્ડક્ટરની અછત, કોમોડિટીની વધતી કિંમતો, વધતો ઉત્પાદન ખર્ચ, વૈશ્વિક નાણાકીય બજારોમાં સંભવિત અસ્થિરતા અને કોરોના વાયરસના વધતા કેસો આર્થિક વૃદ્ધિ માટે જોખમઉભું કરી શકે છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એકંદર માંગ વધી છે. આ રેલ્વે નૂર ટ્રાફિક, પોર્ટ માલ, સિમેન્ટ ઉત્પાદન, વીજળીની માંગ, ઈ-વે બિલ, જીએસટી અને ટોલ કલેક્શનના આંકડાઓમાં દેશની આર્થિક ગતી વધી રહી હોવાનું જોવા મળે છે.
કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધારવા સાથે ખાનગી વપરાશ વધારવામાં મદદ કરી રહી છે. નિકાસ દ્વારા એકંદર માંગને પણ ઘણી મદદ મળી છે. સપ્ટેમ્બર 2021 માં સતત સાતમા મહિને નિકાસ $ 30 અબજને વટાવી ગઈ છે, જે મજબૂત વૈશ્વિક માંગ અને નીતિ આધારને દર્શાવે છે. સેવા ક્ષેત્રમાં સુધારાઓ પણ વેગ પકડી રહ્યા છે.